વડાપ્રધાન મોદી 9 ઓક્ટોબરે મોઢેરાને ભારતનું પ્રથમ 24x7 સોલાર પાવર્ડ વિલેજ કરશે જાહેર || Voice of Gujarat
વડાપ્રધાન મોદી 9 ઓક્ટોબરે મોઢેરાને ભારતનું પ્રથમ 24x7 સોલાર પાવર્ડ વિલેજ કરશે જાહેર

વડાપ્રધાન મોદી 9 ઓક્ટોબરે મોઢેરાને ભારતનું પ્રથમ 24x7 સોલાર પાવર્ડ વિલેજ કરશે જાહેર

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, “મને આનંદ છે કે સ્વચ્છ ઊર્જા ઉત્પન્ન કરવાના વડાપ્રધાનના વિઝનને સાકાર કરવામાં ગુજરાતે ફરી એકવાર આગેવાની લીધી છે.

મોઢેરા ગામના સરપંચ જતનબેન ડી ઠાકોરે કહ્યું કે, ગ્રામજનો ખુશ છે, સૌના બીલ હવે ઝીરો થઈ જશે.

સૂર્યમંદિર માટે પ્રખ્યાત મોઢેરા હવે સોલાર પાવર્ડ વિલેજ એટલે કે, સૌર ઊર્જા સંચાલિત ગામ તરીકે ઓળખાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવમી ઓક્ટોબર, 2022ના રોજ મોઢેરાને ભારતનું પ્રથમ 24x7 રાઉન્ડ ધ ક્લોક BESS સોલર પાવર્ડ વિલેજ જાહેર કરશે.મોઢેરા સોલાર પાવર પ્રોજેક્ટ વિશે વાત કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, “મને આનંદ છે કે સ્વચ્છ ઊર્જા ઉત્પન્ન કરવાના વડાપ્રધાનના વિઝનને સાકાર કરવામાં ગુજરાતે ફરી એકવાર આગેવાની લીધી છે. 2030 સુધીમાં ભારતની 50% ઊર્જા જરૂરિયાતો રિન્યુએબલ એનર્જીના ઉત્પાદન દ્વારા પૂર્ણ કરવાના તેમના સંકલ્પને સાકાર કરવા માટે પ્રતિબદ્ધ છીએ.”

ભારત સરકાર અને ગુજરાત સરકારે બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ (BESS) સાથે સંકલિત સોલાર પાવર પ્રોજેક્ટ દ્વારા મોઢેરાને 24 x7 સોલાર એનર્જી પ્રદાન કરવા માટે મોઢેરાના સૂર્યમંદિરથી લગભગ 6 કિમીના અંતરે આવેલા મહેસાણાના સજ્જનપુરા ખાતે 'મોઢેરા સૂર્ય મંદિર અને નગરનું સોલરાઇઝેશન' શરૂ કર્યું છે.

ગુજરાત સરકારે આ પ્રોજેક્ટના વિકાસ માટે 12 હેક્ટર જમીનની ફાળવણી કરી હતી. ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા બે તબક્કામાં 50-50 ટકાના ધોરણે ₹80.66 કરોડની રકમ ખર્ચ કરવામાં આવી છે. એટલે કે, પ્રથમ તબક્કામાં ₹69 કરોડ અને બીજા તબક્કામાં ₹11.66 કરોડ ખર્ચ કરવામાં આવ્યા છે. 1 KWની 1300થી વધુ રૂફટોપ સોલાર સિસ્ટમ ઘરો પર સ્થાપિત કરવામાં આવી છે. સોલાર પેનલ દ્વારા દિવસ દરમિયાન પાવર સપ્લાય કરવામાં આવે છે. સાંજે, BESS દ્વારા ઘરોને વીજ પુરવઠો પૂરો પાડવામાં આવે છે.

પ્રોજેક્ટની વિશેષતાઓની વાત કરવામાં આવે તો, આ પ્રોજેક્ટ દ્વારા, મોઢેરા ભારતનું પ્રથમ એવું ગામ બનશે જે નેટ રિન્યુએબલ એનર્જી ઉત્પન્ન કરશે. વધુમાં, સૌર ઊર્જા આધારિત અલ્ટ્રા-મોર્ડન ઇલેક્ટ્રિક વ્હીકલ ચાર્જિંગ સ્ટેશન ધરાવતું તે પ્રથમ આધુનિક ગામ બનશે છે. ભારતની પ્રથમ ગ્રીડ કનેક્ટેડ MWH સ્કેલ બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ છે. લોકોને વીજળીના બિલમાં 60%થી 100% સુધીની બચત મળતી થશે.

સૂર્યમંદિરના સોલરાઇઝેશનની વાત કરવામાં આવે તો, સૂર્યમંદિર ખાતે હેરિટેજ લાઇટિંગ્સ અને 3-ડી પ્રોજેક્શન સૌર ઊર્જા પર કામ કરશે.મંદિરના પરિસરમાં હેરિટેજ લાઇટિંગ લગાવવામાં આવી છે. આ લાઇટિંગ જોવા માટે લોકો હવે સાંજે 6.00થી 10 વાગ્યા સુધી મંદિરની મુલાકાત લઈ શકશે. 3-ડી પ્રોજેક્શન દરરોજ સાંજે 7:00થી 7:30 વાગ્યા સુધી ઓપરેટ કરવામાં આવશે.

મોઢેરા ગામના સરપંચ જતનબેન ડી ઠાકોરે કહ્યું કે, “ગ્રામજનોમાં ખુશ છે, સૌના બીલ હવે ઝીરો થઈ જશે. સૌર ઊર્જાના ઉપયોગથી નાગરિકોમાં સમૃદ્ધિ વધી છે. પહેલા બિલ ₹1 હજારથી વધારે આવતું હતું, એ હવે ઝીરો થઇ ગયું છે. બધા ઘરની ઉપર કોઈપણ જાતના ખર્ચા વિના સોલાર પેનલ લગાવવામાં આવી છે. અમારી વીજળી જમા થાય તો અમને વધારાના પૈસા પણ આપવામા આવે છે.”


add image
Top